Ahmedabad Sabarmati Drowning: રંગોના પર્વ ધુળેટીની ઉજવણી વચ્ચે અમદાવાદ શહેરમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ચારેય મિત્રો શહેરના કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તહેવારના દિવસે જ ચાર જિંદગીઓ હોમાઈ જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
Ahmedabad : શું બની હતી ઘટના?
બુધવારે ધુળેટીના દિવસે રંગે રમ્યા બાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા ચાર મિત્રો સાબરમતી નદીમાં ન્હાવા માટે ગયા હતા. કોટારપુર વોટર વર્કસ પાસે આ યુવાનો નદીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન રહેતા તેઓ અચાનક ડૂબવા લાગ્યા હતા.
નદીમાં યુવાનોને સંઘર્ષ કરતા જોઈ એક રાહદારીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં ચારેય યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ચારેય યુવાનો એક જ વિસ્તારના રહેવાસી અને પરમ મિત્રો હતા. મૃતકોની ઓળખ સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સની તરીકે થઈ છે, જેમના અકાળે અવસાનથી તેમના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.
ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ બાદ ચારેયને મૃત જાહેર કર્યા હતા.
રિવરફ્રન્ટ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચારેય મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પરિવારમાં આક્રંદ
એકસાથે ચાર યુવાન પુત્રોના મોતના સમાચાર મળતા જ કુબેરનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હસતા-રમતા દીકરાઓના અચાનક મોતે ધુળેટીના પર્વને માતમમાં ફેરવી દીધો છે.
આ પણ વાંચો: ઇન્ટરનેટનો સૌથી ડરામણો ચહેરો! પિઝાની જેમ ઓનલાઈન ઓર્ડર થઈ રહી છે છોકરીઓ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે

